દેશમાં ગ્રીન એનર્જી અને નોર્થ-ઈસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો વેગ: ₹૨૩,૭૩૧ કરોડની ‘ગોબર્ધન યોજના’ અને આસામમાં ₹૮,૯૭૦ કરોડના હાઈવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી
ભારતની સ્વચ્છ ઊર્જા યાત્રા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બે મોટા નિર્ણયોને લીલી ઝંડી આપવામાં આવી છે. પ્રથમ નિર્ણય હેઠળ ₹૨૩,૭૩૧ કરોડના ખર્ચે ‘રાષ્ટ્રીય પરિપત્ર બાયોએનર્જી યોજના’ (ગોબર્ધન) ને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી દેશમાં ૧.૫ લાખ નવી રોજગારીની તકો ઊભી થશે. આ સિવાય, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ આસામમાં ₹૮,૯૭૦ કરોડથી વધુના ખર્ચે ૧૩૫.૮૭ કિલોમીટર લાંબા ૪-લેન હાઈવેના નિર્માણને સત્તાવાર મંજૂરી આપી છે.
બાયોગેસ ઉત્પાદન ૧૦ ગણું વધશે: ૧.૫ લાખ નોકરીઓનું થશે સર્જન
નવી દિલ્હી ખાતે કેબિનેટ નિર્ણયો અંગે માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગોબર્ધન યોજના ભારતની સ્વચ્છ ઊર્જા તરફની સફરમાં એક મોટું પરિવર્તન લાવશે. આ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૫-૩૬ સુધીના ૧૦ વર્ષના સમયગાળા માટે અમલમાં મૂકવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઉપલબ્ધ કૃષિ અવશેષો, પશુઓનું છાણ, સુગર મિલોનો પ્રેસ મડ અને મ્યુનિસિપાલિટીના જૈવિક કચરાનો ઉપયોગ કરીને સીબીજી (Compressed Biogas) નું ઉત્પાદન દસ ગણું વધારવાનો છે.

આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને સેન્દ્રિય (ઓર્ગેનિક) ખાતરનું ઉત્પાદન વધશે. આ ક્ષેત્રમાં મોટા પાયે ખાનગી રોકાણ આકર્ષવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. સરકારના અંદાજ મુજબ, સમગ્ર બાયોઈકોનોમી ઈકોસિસ્ટમ મજબૂત થવાથી દેશમાં ૧.૫ લાખ લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે.
આસામમાં ₹૮,૯૭૦ કરોડનો ૪-લેન હાઈવે: એરફોર્સ માટે ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા
કેબિનેટે આસામમાં ગુવાહાટી નજીકના બૈહાટા ચરિયાલીથી તેજપુર સુધીના ૧૩૫.૮૭ કિલોમીટર લાંબા માર્ગને ૪-લેન કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ બિલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) ટોલ મોડ પર વિકસાવવામાં આવશે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા આ પ્રોજેક્ટમાં ભારતીય વાયુસેના (IAF) ના સંકલન સાથે તેજપુર બાયપાસ પર એક ખાસ ‘ઇમરજન્સી લેન્ડિંગ ફિચર્સ’ પણ તૈયાર કરવામાં આવશે, જે કટોકટીના સમયે યુદ્ધવિમાનોના લેન્ડિંગ માટે ઉપયોગી બનશે.

આ માર્ગ પર બૈહાટા ચરિયાલી, સિપાઝાર, ખારૂપેટિયા, દેકિયાજુલી અને તેજપુર જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થવા માટે ૫૮.૭ કિલોમીટર લાંબા ૫ મુખ્ય બાયપાસ બનાવવામાં આવશે. આ બાયપાસના કારણે મુસાફરોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે.
આ નવો હાઈવે બનવાથી વાહનોની સરેરાશ સ્પીડમાં ૧૦૦ ટકાનો વધારો થશે અને મુસાફરીનો સમય ઘટીને અડધો થઈ જશે. આ ઉપરાંત વાહનોના સંચાલન ખર્ચ અને ઈંધણની વપરાશમાં મોટો ઘટાડો થશે, જેથી આસામ સહિત સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતની આર્થિક અને સામાજિક ગતિવિધિઓને મોટો વેગ મળશે.



