કરા અને વાવાઝોડાનો બેવડો માર! ભારતના ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ચેતવણીની ઘંટી.
સમગ્ર વિશ્વની જેમ ભારત પણ ગ્રીન એનર્જી (નવીનીકરણીય ઉર્જા) તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ, જે પ્રકૃતિને બચાવવા માટે આ પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવી રહ્યા છે, તે જ પ્રકૃતિનો બદલાતો મિજાજ હવે આ પ્રોજેક્ટ્સ માટે મોટું સંકટ બની રહ્યો છે. એક તાજેતરના અહેવાલ મુજબ, ભારતની આગામી ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનનો મોટો હિસ્સો ગંભીર આબોહવા જોખમો (Climate Hazards) નો સામનો કરી રહ્યો છે. આ આબોહવા પરિવર્તનના કારણે આ દાયકાના અંત સુધીમાં એટલે કે 2030 સુધીમાં ભારતની આશરે $55 અબજ (આશરે 4.5 લાખ કરોડ રૂપિયા) ની સંપત્તિને નુકસાન થવાનું જોખમ ઊભું થયું છે.

ઝ્યુરિચ ઇન્સ્યોરન્સ ગ્રુપ એજી (Zurich Insurance Group AG) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ અભ્યાસ દર્શાવે છે કે આપણે ગ્રીન એનર્જી ક્ષમતા વધારવા પર જેટલું ધ્યાન આપીએ છીએ, તેટલું જ ધ્યાન તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખવા પર આપવું પણ અનિવાર્ય બની ગયું છે.
10 રાજ્યોમાં 90% પ્રોજેક્ટ્સ પર મોટું જોખમ
અહેવાલ મુજબ, ભારતના 10 અગ્રણી રાજ્યોમાં આયોજિત કરવામાં આવેલા આશરે 239 ગીગાવોટ (GW) ક્ષમતાના સોલર, વિન્ડ (પવન) અને હાઇડ્રોપાવર (જળ વિદ્યુત) પ્રોજેક્ટ્સ પર જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. આ આંકડો ભારતના કુલ પ્રસ્તાવિત ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સના લગભગ 90 ટકા જેટલો થાય છે.
આ પ્રોજેક્ટ્સ એવી જગ્યાઓ પર સ્થિત છે જ્યાં વાવાઝોડા (Tornadoes), જંગલની આગ (Wildfires) અને ભારે પૂર (Extreme Floods) જેવી કુદરતી આફતો આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. વૈશ્વિક સ્તરે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતો ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. ભારતે વર્ષ 2035 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ (Non-fossil fuel) સ્ત્રોતોમાંથી વીજ ઉત્પાદન ક્ષમતાનો હિસ્સો વધારીને 60 ટકા કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ, જો આપણા સોલર પેનલ્સ કે વિન્ડ ટર્બાઇન્સ કુદરતી આફતો સામે ટકી જ નહીં શકે, તો માત્ર ક્ષમતા વધારવાનો કોઈ અર્થ રહેશે નહીં.
રોકાણકારો માટે ‘રેઝિલિયન્સ’ (સ્થિતિસ્થાપકતા) પ્રથમ શરત
હવે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે પ્રોજેક્ટ ડેવલપર્સ માટે એક નવો પડકાર ઊભો થયો છે. ઝ્યુરિચ કોટક જનરલ ઇન્સ્યોરન્સના કોમર્શિયલ ઇન્સ્યોરન્સ હેડ અજય હેગડેના જણાવ્યા અનુસાર, બજારમાં મૂડી (કેપિટલ) અમર્યાદિત નથી. તેથી, હવે રોકાણકારો અને બેંકો એવા જ પ્રોજેક્ટ્સમાં નાણાં રોકવાનું પસંદ કરશે જે હવામાનના જોખમો સામે વધુ મજબૂત અને સ્થિતિસ્થાપક (Resilient) હોય.

જો કોઈ પ્રોજેક્ટ ડેવલપર એ સાબિત ન કરી શકે કે તેનો પ્રોજેક્ટ આબોહવા પરિવર્તનના જોખમો સામે લડવા સક્ષમ છે, તો તેને ભંડોળ મેળવવામાં ભારે મુશ્કેલી પડી શકે છે. બદલાતા સમય સાથે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટે આબોહવા જોખમનું મૂલ્યાંકન કરવું એ લોન મેળવવા માટેની પ્રાથમિક શરત બની ગઈ છે.
સોલર પ્રોજેક્ટ્સ સૌથી વધુ નબળા: કરા અને ધૂળનો બેવડો માર
અહેવાલમાં મૂલ્યાંકન કરાયેલી 871 આયોજિત સંપત્તિઓમાંથી લગભગ 70 ટકા પ્રોજેક્ટ્સ સોલર (સૌર ઉર્જા) ના છે, અને આ સોલર પ્રોજેક્ટ્સ જ સૌથી વધુ સંવેદનશીલ છે. સામાન્ય રીતે ડેવલપર્સ વાવાઝોડા કે તેજ પવનને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરે છે, પરંતુ ‘કરાની કટોકટી’ (Hailstorms) પર બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે.
રાજસ્થાન અને ગુજરાત જેવા ભારતના મુખ્ય સોલર હબ ગણાતા રાજ્યોમાં કરા પડવાનું જોખમ ઘણું વધારે છે. જ્યારે મોટા કદના કરા સોલર પેનલ પર પડે છે, ત્યારે પેનલ માત્ર તૂટતી જ નથી, પરંતુ તેમાં એવા માઇક્રોસ્કોપિક ફ્રેક્ચર્સ (ઝીણી તિરાડો) પડી જાય છે જે નરી આંખે દેખાતી નથી. આ તિરાડો સમય જતાં પ્લાન્ટના વીજ ઉત્પાદનને ધીમે-ધીમે ઘટાડી દે છે, જેનાથી પ્રોજેક્ટની કમાણી પર સીધી નકારાત્મક અસર પડે છે.
બીજી તરફ, રાજસ્થાન જેવા સૂકા પ્રદેશોમાં લાંબા સમય સુધી પડતો દુષ્કાળ સોલર પેનલ્સ પર ધૂળના જાડા થર જમાવી દે છે. આ ધૂળને કારણે પેનલની કાર્યક્ષમતા ઘટી જાય છે. હવે ઓપરેટર્સ સામે બે જ રસ્તા બચે છે: કાં તો ઓછું વીજ ઉત્પાદન સહન કરો અથવા પેનલ્સ સાફ કરવા માટે મોંઘા અને પાણીના પુષ્કળ વપરાશ વાળા ક્લિનિંગ સાયકલનો ઉપયોગ કરો, જે પોતે જ એક મોટો આર્થિક બોજ છે.
વહેલું રોકાણ જ નુકસાન ઘટાડવાનો એકમાત્ર ઉપાય
આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જો ભારત અત્યારથી જ આગોતરા આયોજન તરીકે આશરે $4.6 અબજ (આશરે 38,000 કરોડ રૂપિયા) નું રોકાણ પ્રોજેક્ટ્સની મજબૂતાઈ અને ટેકનોલોજી સુધારવા પાછળ કરે, તો ભવિષ્યમાં થનારા $55 અબજના સંભવિત નુકસાનને અડધું કરીને $27 અબજ સુધી લાવી શકાય છે.



